Saturday, March 18, 2017

નરેન્દ્ર મોદીને હું પસંદ કરતો નથી, પણ EVMમાં ગરબડ થઈ તે વાત સાથે પણ સંમત્ત નથી.

ઉત્તર પ્રદેશનું પરિણામ મારા જેવા લાખો લોકો માટે આશ્ચર્યજનક હતું, પણ જે પરિણામ આવ્યુ છે તે ખેલદીલીપુર્વક સ્વીકારવુ જોઈએ, કારણ તમે અને હું રાજકારણમાં નથી, આપણા એક નાગરિક તરીકે ગમાઅને અણગમા હોય તે આપણી વ્યકિતગત બાબત છે, મારા જેવા મોટા ભાગના લોકોનો મત હતો કે ભાજપ જીતે તો વાંધો નથી, પણ નરેન્દ્ર મોદી હારવા જોઈએ, પણ આપણને અને અનેક  ભાજપીઓને પણ પસંદ ના  પડે તેવી બાબત એવી છે કે નરેન્દ્ર મોદી ભાજપ કરતા પણ મોટા થઈ ગયા છે.

ભારતના સૌથી મોટા પ્રદેશ એવા ઉત્તર પ્રદેશમાં જયા નાત-જાત, દલિત અને મુસ્લીમના નામે મતદારો વહેચાયેલા હોય ત્યારે ભાજપ કેવી કેવી રીતે આટલી બધી બેઠકો જીતી ગયું તેવો પ્રશ્ન છે. પરિણામ બાદ તરત વિરોધીઓ દાવો કરવા લાગ્યા કે ભાજપે ઈવીએમ મશીન સાથે ચેડા કરી વિરોધીઓના મત પોતાની તરફ કરી લીધા હતા, વ્યકિતગત રીતે હું નરેન્દ્ર મોદીને પસંદ કરતો નથી, છતાં નરેન્દ્ર મોદી અથવા તેમના ભાજપ પક્ષે ઈવીએમ સાથે કોઈ ચેડાં કર્યા હોય તે વાત સાથે હું સંમત્ત નથી, ઉત્તર પ્રદેશના પરિણાનને હું માત્ર જનાધાર કહુ છુ જે આપણે સ્વીકારવો જ જોઈએ.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા, કેશુભાઈ પટેલની હટાવી, તેઓ મુખ્યમંત્રી થયા ત્યાર બાદ ગુજરાત ભાજપની એક પણ બેઠકમાં વધારો થયો નથી, ત્રણ ત્રણ વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવનાર નરેન્દ્ર મોદી ખરેખર ઈવીએમ સાથે ચેડાં કરતી શકતા તો તેમને બેઠકો વધારી શકયા હોત પણ તેવુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી કરી શકયા નથી, ઉત્તર પ્રદેશની સાથે પંજાબની ચુંટણી પણ હતી, કોઈ પણ માણસ જયારે ખોટુ કરવા નિકળે ત્યારે પ્રમાણ ભાન રહેતુ નથી, જો નરેન્દ્ર મોદી ચેડા કરી ચુંટણી જીતી શકતા તો પંજાબ ભાજપ હારતુ નહી, ગોવામાં ભલે ભાજપની સરકાર બની પણ જનાધાર ભાજપ સાથે ન્હોતો, ગોવામાં તો ભાજપની જ સરકાર હતી છતાં ચુંટણીમાં તેઓ બહુમત મેળવી શકયા ન્હોતા.

નરેન્દ્ર મોદીના ભાષણો હું છેલ્લાં પચ્ચીસ વર્ષથી સાંભળુ છું અને વ્યકિતગત રીતે પણ તેમને એટલા  જ વર્ષોથી ઓળખુ છુ, તેઓ જે બોલે છે તેવુ જ વર્તે છે તેવુ નથી, પણ એક મતદાર તરીકે જેઓ તેમની પહેલી વખત સાંભળ છે ત્યારે તેમની વાત સાથે તમારે તેમની સાથે સંમત્ત થયા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, તેમના વાત શબ્દોમાં ખોટી છે તેવુ કોઈ કહી શકતુ નથી.જયા સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે ત્યાં સુધી મુસ્લીમોએ ભાજપને મત આપ્યા તે વાત સંદ્દતર ખોટી છે,. મુસ્લીમો કયારે ભાજપને મત આપે નહીં, ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો હતા તે સમાજવાદી અને બહુજન સમાજવાદી વચ્ચે વહેચાઈ ગયા જયારે હિન્દુ મતો એક તરફ એટલે ભાજપ તરફ પડયા જેના કારણે આ પરિણામ આવ્યા છે, જેમા ઈવીએમ સાથે કોઈ ચેડાં થયા નથી તેવુ હું મોદી વિરોધી હોવા છતાં ખાતરીપુર્વક કહી શકુ છુ.

Thursday, March 16, 2017

મે મારી દિકરીને કહ્યુ તુ નાપાસ થાય તો પણ મને વાંધો નથી.

મારા માતા પિતા બંન્ને ભારત સરકારમાં નોકરી કરતા હતા, તેમની મારી સામે ફરિયાદ હતી કે તેઓ રાત દિવસ મારી માટે મહેનત કરે છે, અને હું ભણવામાં ધ્યાન આપતો નથી, મને બરાબર યાદ છે કે હું ધોરણ આઠમાં હતો, ત્યાં સુધી મને ખબર ન્હોતી કે પરિક્ષામાં કેટલા માર્ક આવે તો આપણે પાસ થઈ શકીએ, મારૂ વાર્ષિક પરિક્ષાનું પરિણામ આવ્યુ, તે દિવસે મને યાદ આવ્યુ કે ફરી આજે મારા માતા-પિતા કાયમની જેમ મારી સામે લેકચર આપશે, એટલે મેં મારા બાજુમાં બેઠેલા મિત્રને પુછયુ કે ભાઈ આપણે કેટલા માર્ક મળે તો પાસ કહેવાઈએ ? તેણે જવાબ આપ્યો તે પાસ થવા માટે 35 માર્ક જોઈએ. મે મારા પરિણામ સામે જોયુ અને ખુશ થયો, મે મને આશ્વાસન પણ આપ્યુ કે 35 માર્ક બહુ મોટી વાત નથી.

હું ઘરે પહોંચ્યો ત્યારે મારા પિતાના હાથમાં ગૌરવભેર મેં કહ્યુ કે લો તમે કાયમ ફરિયાદ કરો છો કે હું ભણતો નથી, તો જોઈ લો મારૂ પરિણામ..તેમણે મારૂ પરિણામ હાથ લીધુ.. જોયુ અને મારા ગાલ ઉપર તમાચો માર્યો( તેમણે મારી જીંદગીમાં મારેલો પહેલો અને છેલ્લે તમાચો હતો) હું અચંબામાં પડી ગયો, કોઈ દિકરો પોતાના પિતાના સારૂ પરિણામ આપે અને પિતા તમાચો મારે એવુ તો કઈ રીતે બને ? હું ગાલ ઉપર હાથ ફેરવતો વિચારમાં પડી ગયો.. તેમણે મારા ચહેરા ઉપરના પ્રશ્નાર્થને જોઈને કહ્યુ બેટા એક વિષયમાં 35 માર્ક જોઈએ ત્યારે તારા તો તમામ વિષયના કુળ ગુણ 35 થાય છે. મારે આઠમુ ધોરણ ફરી ભણવુ પડયુ.

સામાન્ય રીતે માતા-પિતા પોતાના સંતાનોને પોતાની નિષ્ફળતાની વાત કરતા નથી, પણ આ ઘટના હું મારી દિકરી પ્રાર્થના અને દિકરા આકાશને અનેક વખત કહી ચુકયો છુ, ધોરણ આઠમાં મળેલી નિષ્ફળતા પછી મેં કઈ બહુ મોટા તીર માર્યા ન્હોતા, પણ પાસ થવા એટલા માર્ક મેળવ્યા હતા, હું મારા બંન્ને સંતાનોને મારી નિષ્ફળતાની વાત એટલા માટે કહું છે કે મારા 30 વર્ષના પત્રકારત્વમાં મને કોઈએ ધોરણ 10-12 અને થર્ડ ઈયરની માર્કશીટ માગી નથી, તો જેના ગુણનો  તમારી આવનારી જીંદગીમાં કોઈ મહત્વ જ નથી તો તેના માટે જીવને તાળવે ચોટાડી દેવાનો શુ અર્થ છે. મારી દિકરી ધોરણ 10માં છે, હું તેને પહેલા દિવસથી કહેતો આવ્યો છુ કે તું પરિક્ષામાં નાપાસ થઈશ તો પણ મને વાંધો નથી, કારણ તુ મોટી થઈશ ત્યારે કોઈ તને નોકરી આપતા પહેલા તારા 10માં ધોરણની માર્કશીટ માંગવાનું નથી, માટે તુ નાપાસ પણ થઈશ તો પણ મને કે તારી મમ્મીને કોઈ વાંધો આવશે નહીં.

અમે તને પ્રેમ કરી છીએ નહીં કે તારી માર્કશીટ અથવા તારી સફળતાને તુ જેવી છે તેવી અમારી છે. તે મને કહે છે કે હું કયારે નાપાસ થઈશ નહીં, પણ મેં તને કહ્યુ કે માની લો કે તુ નાપાસ થાય તો આપણે તેની પણ પાર્ટી રાખીશુ, કારણ નિષ્ફળતાની કોઈ પાર્ટી કરતુ નથી આપણે એક નવી પ્રથા શરૂ કરીશુ., તે બીન્દાસ છે, તે પરિક્ષા છેલ્લાં કલાકમાં પણ ટીવી જુવે છે અને ફોન ઉપર વાતો કર્યા કરે છે. હું નિશ્ચીત છુ કારણ મને તેની બોર્ડની પરિક્ષા કરતા તે જીંદગીની પરિક્ષામાં પાસ થાય તેની સાથે નીસ્બત છે. મારા દિકરો આકાશ પહેલાથી શિક્ષણમાં હોશીયાર છે( ખબર નહીં મારા પુત્રને શિક્ષણ સાથે કેવી રીતે લગાવ થયો) તે છેલ્લાં પાંચ વર્ષથી યુપીએસસીની તૈયારી કરતો હતો, થોડા દિવસ પહેલા તેણે મને કહ્યુ મારે યુપીએસસી કરવુ નથી.

મેં કહ્યુ કઈ વાંધો નહીં, તને મઝા પડે તે કર, કદાચ તને એવુ લાગે કે કોલેજ પુરી કર્યા પછી મારે ઓટો રીક્ષા ચલાવી છે, મને તેમાં મઝા આવે છે તો હું તને ઓટો રીક્ષા લાવી આપીશ, પણ તુ જે કામ કરે તેમાં તને મઝા આવવી જોઈ, હું મારા સ્વપ્ના તેની ઉપર થોપવા માગતો નથી, હું જયા નિષ્ફળ થયો તેમાં મારા સંતાનો સફળ થાય તેવો મારો જરાય પણ આગ્રહ નથી, આખરે દરેક પાલક પોતાના સંતાન ખુશ રહે તેવુ જ ઈચ્છે છે તો તેની ખુશી કઈ બાબતમાં છે તેને તો પુછવુ  જ પડશે.બાળકની સફળતાનો યશ આપણે લઈએ છીએ ત્યારે તેની નિષ્ફળતામાં પણ આપણે સામેલ થવુ પડશે.

Sunday, January 29, 2017

આ દરવાજામાંથી તેઓ નિકળશે તો ખરા પણ પછી જશે કયાં ?

થોડા દિવસ પહેલા અમદાવાદની સેન્ટ્રલ જેલમાં હું ગયો હતો, જેલ સુપ્રીટેન્ડન્ટ પ્રેમવિરસિંગ સાથે વાતચીત કરતા ખબર પડી કે જેલમાં કેટલાંય કેદીઓ એવા છે, જેમનો અત્યંત સામાન્ય ગુનો છે, તેમને નિયમ પ્રમાણે તરત જ જામીન મળી જાય, પણ તેમણે પોતાના ગુનાની સજા કરતા પણ અનેક મહિના વધુ સમય જેલમાં પસાર કરી નાખ્યા છે, તેનું કારણ એવુ છે કે તેઓ અત્યંત ગરીબ છે, અથવા તેઓ ગુજરાત બહારના છે, તેમની પાસે પૈસા નહીં હોવાને કારણે વકિલ રોકી શકતા નથી, અને તેમને જામીન મળતા નથી. હું છેલ્લાં આઠ મહિનાથી નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલો છુ, આ અંગે મેં નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને વાત કરી ત્યારે તેમણે કહ્યુ નવજીવન ટ્રસ્ટ વકિલ રોકી તેમને છોડાવી શકે તે સારૂ થાય.

તે જ સંદર્ભમાં મારી હું એડવોકેટ શહેનાઝ મલેક સાથે ફરી જેલમાં ગયો હતો, તે દરમિયાન એવુ બન્યુ કે રાજય સરકારે 12 વર્ષથી વધુ સજા કાપી હોય તેવા કેદીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો, ગુજરાતની વિવિધ જેલોમાં 400 કરતા વધુ કેદીઓને આ નિર્ણયનો લાભ મળશે, જેમાં અમદાવાદ જેલમાંથી 125 કેદીઓ છુટી રહ્યા છે.હું જેલર પાસે બેઠો હતો ત્યારે એક કેદી અમારી માટે ચ્હા અને પાણી લઈ આવ્યો, તે પણ છુટી રહ્યો હતો, જો કે તેના ચહેરા ઉપર જેલમાંથી છુટવાનો આનંદ ન્હોતો, કદાચ તે જેલમાંથી જવા પણ માગતો ન્હોતો. મને તેનું આશ્ચર્ય થઈ કે કોઈ કેદી જેલમાંથી બહાર જવા માગતો નથી, મેં તે અંગે બીજા કેદી સાથે વાત કરી તો ખબર પડી કે આ કેદી ખુન કેસમાં અંદર આવ્યો હતો,

તે જે દિવસે જેલમાં આવ્યો તે દિવસથી આજ સુધી તેને મળવા માટે તેના પરિવારજનો અથવા કોઈ મીત્ર કયારેય આવ્યુ નથી, તેણે પણ 12 વર્ષમાં એક પણ રજા લીધી નથી અને તે કયારે 12 વર્ષમાં જેલની બહાર ગયો નથી, તેને હવે સતત એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે જેલની બહાર જઈ શુ કરીશ. સુપ્રીટેન્ડન્ટ પ્રેમવિરસિંગ કહે છે, જે કેદીઓ છુટી રહ્યા છે, તેઓ કોઈ હાર્ડકોર ગુનેગાર નથી, જીંદગીમાં પહેલી વખત જ તેમણે ઉશ્કેરાટમાં આવી ગુનો કર્યો હતો, અને એટલે જ તેમણે લાંબી સજા પણ કાપી, તેઓ ભણેલા હતા, તેમનો ધંધો હતો, પણ જેલમાં આવ્યા પછી તેમનું બધુ જ સાફ થઈ ગયુ છે.

જેલમાં આવીને પણ આ કેદીઓ ખુબ ભણ્યા, કેટલાંક કેદીઓ ટેકનીકલ શિક્ષણ પણ મેળવ્યુ તેના કારણે અમારી પાસે સારા કુક છે, ફનિર્ચર બનાવનાર,વેલ્ડર, કોમ્પયુટર ઓપરેટર, લાયબ્રેરીયન,બેકરી સ્ટાફ, સિવિલ એન્જિયર, ડૉકટર, સંગીતકાર, ગાયકી અને વીડીયોગ્રાફી સહિત વિશ્વની તમામ અભ્યાસક્રમો અને કૌશલ્યમાં માહિરતા હાંસલ કરી છે, પણ હવે સમસ્યા અને માનસીકતા એવી છે કે જયારે આ કેદીઓ બહાર નિકળશે ત્યારે તેમને કોઈ કામ આપવા તૈયાર થશે નહીં, કારણ કેદીઓને નોકરી આપવા કોઈ તૈયાર હોતુ નથી. આ સંજોગોમાં જો આ કેદીઓને બહાર નિકળ્યા પછી નોકરી મળશે નહીં તો તેમનો રસ્તો ફંટાઈ જવાની પુરી શકયતા છે., આ કેદીઓનું સમાજમાં પુનસ્થાપન પણ જરૂરી છે. આ સંદર્ભમાં નવજીવન ટ્રસ્ટે પહેલ કરી થોડાક કેદીઓને નવજીવન ટ્રસ્ટમાં નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

પણ આ કામ માત્ર નવજીવન ટ્રસ્ટનું નથી, પણ આપણા બધાનું છે, કારણ કેદીઓની સંખ્યા 125ની છે, તો મારી વિનંતી છે કે આ દિશામાં જો તમે કઈ કરી શકો તો આગળ આવો, અથવા આ પોસ્ટ શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી, કેદીઓને કઈ રીતે કામ મળી શકે તેવો પ્રયત્ન કરો, આ સંદર્ભમાં નવજીવન ટ્રસ્ટ કેદીઓ અને નોકરી દાતા વચ્ચે માધ્યામ થવા માટે તૈયાર છે. આ કેદીઓ એક સારા માણસ છે, તેમની હું તમને ખાતરી આપુ છુ, તેમનું નસીબ તેમને જેલના દરવાજા સુધી લઈ આવ્યુ, પણ હવે વર્ષો પહેલા તેઓ જે દરવાજે અંદર ગયા હતા, ત્યાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે આપણે તેમનું સ્વાગત એક સારા માણસ થવાના તેમના પ્રયાસ માટે કરીએ, તમે મારો સંપર્ક પણ કરી શકો છો, અથવા સુચન પણ કરી શકો.

તમારા ફોનનો મને ઈંતઝાર રહેશે, તમારો કોઈ એક કોલ એક કેદીની જીંદગી બદલવામાં મદદ રૂપ થઈ શકે તેમ છે

મારો સંપર્ક તમે આ નંબર ઉપર કરી શકશોઃ પ્રશાંત દયાળ ... 9825047682